Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરકારમાં વિદેશી દારૂની ડીલેવરી આપવા પૂર્વે ખંભાળિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો

કારમાં વિદેશી દારૂની ડીલેવરી આપવા પૂર્વે ખંભાળિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો

પોલીસને જોઈને ભાગેલો કાર ચાલક પુલ હેઠળ ખાબકતાં ઇજાગ્રસ્ત : રૂ. 4.46 લાખનો મુદ્દામાલ કબજે

- Advertisement -

ખંભાળિયા નજીક જામનગર માર્ગ તરફથી આવતી એક સ્વિફ્ટ મોટરકારને એલસીબી પોલીસ સ્ટાફે અટકાવતા દારૂ ભરેલી આ કારનો ચાલક ભાગવા જતા પુલ નીચે ખાબક્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ પ્રકરણમાં પોલીસે વિદેશી દારૂ તથા કાર સહિત કુલ રૂપિયા 4.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર ગઈકાલે શનિવારે બપોરે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, મશરીભાઈ ભારવાડીયા તથા બોઘાભાઈ કેસરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર તરફથી ખંભાળિયા બાજુ આવી રહેલી જી.જે. 02 બી.ડી. 5935 નંબરની સ્વિફ્ટ મોટરકારને પોલીસે અત્રેથી આશરે છ કિલોમીટર દૂર ટોલ ગેઈટ પાસે અટકાવતા પોલીસને જોઈને આરોપીએ મોટરકાર દોડાવી દીધી હતી. થોડે આગળ જઈ અને ચાલકે દલવાડી હોટલ પાસે મોટરકારને એક બાજુ રેઢી મુકીને નાસી છૂટતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. થોડે આગળ જઈ અને એક પુલીયા નીચે કારચાલકે જંપ લગાવી હતી. જેના કારણે તે ઘવાયો હતો અને તેને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી.

આથી પોલીસે મોટરકારના ચાલક એવા દ્વારકાના જકાતનાકા વિસ્તારમાં રહેતા ખાતે રહેતા ચેતન રણછોડભાઈ રાઠોડ (ઉ.વ. 35) ને હોસ્પિટલ ભેગો કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે મોટરકારમાં છુપાવીને લઈ જવાતી રૂપિયા 1.36 લાખની કિંમતની 340 બોટલ પરપ્રાંતીય શરાબ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર ઉપરાંત રૂ. 10,000 ની કિંમતના એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4.46 લાખના મુદ્દામાલ સાથે ચેતન રણછોડ રાઠોડ સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -

દારૂનો આ જથ્થો તેણે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રહેતા દિનેશ નામના એક શખ્સ પાસેથી લઈ અને દ્વારકા તાલુકાના ધિણકી ગામે રહેતા પરધુભા દેવુભા સુંભણીયા નામના શખ્સને પહોંચાડવા માટે જતો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે ધોરણસર ગુનો નોંધી, દારૂ આપનાર તથા મેળવનાર શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર પ્રકરણની તપાસ એલસીબીના હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ ચલાવી રહ્યા છે.
આ કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, ભરતભાઈ ચાવડા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, વિપુલભાઈ ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular