જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ એક મંદિર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ખાતે કાર્યરત મહિલા સત્સંગ મંડળ દ્વારા રાજ્યમંત્રીને કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને તેમણે સહર્ષ સ્વીકાર્યું હતું.
રાજ્યમંત્રી રિવાબા જાડેજા મહિલાઓ સાથે ધાર્મિક વિધિઓમાં જોડાયા હતા. પુરુષોત્તમ માસના પાવન અવસરે ભગવાનનું પૂજન-અર્ચન, પ્રાર્થના અને ભજન-કીર્તન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે રાજ્યમંત્રી મહિલાઓ સાથે રાસ-ગરબામાં પણ જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો. રિવાબા જાડેજા રાસ ગરબા સાથે જોડાઈને ભક્તિના રંગે રંગાયા હતા.
View this post on Instagram
મહિલા સત્સંગ મંડળની બહેનોએ રાજ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને ગુલાલ લગાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સૌએ ભગવાનના જયઘોષ સાથે આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા તેમજ રાજ્ય અને દેશના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
પુરુષોત્તમ માસના આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ભક્તો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.


