જામનગર શહેરમાં આજે ઉનાળાના આકરા તાપ અને બફારા સાથે ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધતા લોકો ઉકળાટભર્યા વાતાવરણથી પરેશાન બન્યા હતા. આજે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
સવારથી જ સૂર્યપ્રકાશ તીવ્ર રહેતા શહેરમાં ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. સૂર્યનારાયણ ના આકરા મિજાજથી લોકો પરેશાન થયાં હતા. બપોરના સમયે આકરા તાપ અને લૂ વર્ષા થી રસ્તાઓ પર ચહલપહલ ઓછી જોવા મળી હતી. ખાસ કરીને બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા.
જામનગર કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 75%, અને પવનની ગતિ 14.3 કી. મી/કલાક નોંધાઈ હતી. પવન ચાલતા થોડોક સમય રાહતનો અનુભવ થયો હતો, પરંતુ ભેજ વધુ હોવાને કારણે ગરમીની અસર યથાવત રહી હતી. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી પારો ઊંચકાતા લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા હતા
ગરમીના કારણે શહેરના બજારોમાં બપોર બાદ ખરીદદારોની સંખ્યા ઘટી ગઈ હતી. રોજિંદા મજૂરી કરતા લોકો માટે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. તેમજ વાહનચાલકોને પણ તીવ્ર તડકાના કારણે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
ગરમીથી બચવા શહેરીજનોએ લીંબુ પાણી, છાશ શેરડી નો રસ, આઈસ્ક્રીમ, બરફના ગોલા સહિતની ચીજ વસ્તુઓનો સહારો લીધો હતો.
હવામાન વિભાગના અનુમાન મુજબ, મોન્સૂન પૂર્વેના દિવસોમાં આ પ્રકારની ગરમી અને ભેજનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ ભેજનું પ્રમાણ ઊંચું જ રહેવાની શક્યતા છે.


