Sunday, September 13, 2026
Homeરાજ્યખંભાળિયાના ધરમપુર ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત

ખંભાળિયાના ધરમપુર ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે રૂ. 1.36 કરોડના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

સમગ્ર રાજ્યમાં ગુરુવારથી શરૂ થયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કાર્યક્રમ જિલ્લાના ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી આંબાવાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.

- Advertisement -
આત્મનિર્ભર યાત્રાની શરૂઆત કરાવતાં બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરાએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાના લાભ પહોંચાડવા માટે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. પદાધિકારીઓ, વહિવટીતંત્ર અને પ્રજાના ત્રિવેણી સંગમથી વિકાસના સારા પરિણામો હાંસલ કરી શકીશું. લોકો માટે ઉપયોગી રાજય તથા કેન્‍દ્ર સરકારના વ્‍યક્તિગત અને સામુહિક કામોથી લોકો વાકેફ થાય તે માટેનો આ કાર્યક્રમ છે. રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પહોંચી છે.
કાર્યક્રમના સ્‍થળે આગેવાનોના હસ્‍તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્‍મક ચાવી આપવામાં આવી હતી. તેમજ ચેરમેન ઘોડાસરાના હસ્‍તે જિલ્‍લાના કુલ રૂા.1.36 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ ઇ-તકતીના માધ્‍યમથી કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે ખેડા જિલ્લાનાં મહેમદાવાદથી મુખ્યમંત્રીએ શરૂઆત કરાવેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડયાએ કરતાં જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓની માહિતી આત્‍મનિર્ભર યાત્રા થકી છેવાડાના લોકોને મળી રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન સંજય નકુમ, જીતેન્દ્ર કણઝારીયા, ભરતભાઈ ચાવડા, ધરમપુરના સરપંચ જેન્‍તીભાઇ, હરિભાઈ નકુમ, હિતેશભાઈ પીંડારીયા, મશરીભાઈ નંદાણીયા, પ્રતાપ પીંડારીયા, ઈન્‍દ્રજીતસિંહ પરમાર સહિત આગેવાનો, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ભાવેશ ખેર, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી શ્રીવાસ્‍તવ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular