Thursday, April 18, 2024
Homeરાજ્યપૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાની પૂણ્યસ્મૃતિમાં વિવિધ સેવા કાર્યો યોજાયા

પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાની પૂણ્યસ્મૃતિમાં વિવિધ સેવા કાર્યો યોજાયા

નિદાન, સારવાર કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો : ભવ્ય લોકડાયરામાં અનેક મહાનુભાવો જોડાયા

- Advertisement -
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ફક્ત ખંભાળિયા શહેરની પરંતુ સમગ્ર જિલ્લા માટે અનેક સુવિધાઓ આપી, લોકોના હૃદયમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવનાર કાળુભાઈ ચાવડાના નિધનને એક વર્ષ પૂર્ણ થતા તાજેતરમાં આ પ્રસંગે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ, વેક્સિનેશન કેમ્પ, સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ ઉપરાંત લોકડાયરામાં લોકોએ સ્વૈચ્છિક અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, સદગત પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તત્કાલીન પ્રમુખ અને ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ચાવડાના અવસાનને એક વર્ષ થતાં સદગતના પરિવારજનો દ્વારા તાજેતરમાં અત્રે બજાણા રોડ ઉપર આવેલી સતવારા સમાજની નવી વાડીમાં અનેક સેવા કાર્યો તથા સામાજિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બે સ્થળોએ યોજવામાં આવેલા રક્તદાન કેમ્પ 400 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના 150 જેટલા લોકો માટે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સ્થળે યોજાયેલા જુદાજુદા ક્ષેત્રના નિષ્ણાંત તબીબો સાથેના નિદાન તથા સારવાર કેમ્પમાં 60 જેટલા લોકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અનેક લોકોને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુપોષિત બાળકોને કિટ વિતરણ તથા સ્લમ વિસ્તારોમાં બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સતવારા સમાજની નવી વાડી ખાતે ખ્યાતનામ કલાકારો માયાભાઈ આહીર, લાખણશીભાઈ ગઢવી, લખમણભાઈ ભોચીયા સહિતના કલાકારોની ખાસ ઉપસ્થિતિમાં લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડી રાત્રી સુધી મોટી સંખ્યામાં લોકોએ આધ્યાત્મિક તથા સાહિત્ય કલાને મન ભરીને માણી હતી.
આ તમામ આયોજનોમાં જુદાજુદા ક્ષેત્રના સંતો-મહંતો સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ પૂનમબેન માડમ, આર.સી. ફળદુ, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ, પ્રદિપભાઈ ખીમાણી, ખીમભાઈ જોગલ, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, મુળુભાઈ બેરા, રઘુભાઈ હુંબલ, ચંદ્રેશભાઇ પટેલ, જીતુભાઈ લાલ, ભીખુભાઈ વારોતરીયા, પૂર્વ રાજ્યમંત્રી ડો. આર.એન. વારોતરીયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજનને ભવ્ય સફળતા બદલ સદગતના પરિવારના કાનાભાઈ નારણભાઈ ચાવડા, ગોવિંદભાઈ નારણભાઈ ચાવડા તથા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર પ્રભાત કાળુભાઈ ચાવડા, જયેશભાઈ અને વિજયભાઈ ચાવડા દ્વારા સેવા આપનાર તબીબો ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, કાર્યકરો સહિત સર્વેનો જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ આયોજન દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, પૂર્વ મહામંત્રી દિનેશભાઈ દતાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ ગઢવી, મશરીભાઈ નંદાણીયા, કાનભાઈ કરમૂર, ઇન્દ્રજીતસિંહ પરમાર, હાર્દિક મોટાણી સહિતના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નોંધપાત્ર જહેમત ઉઠાવી, આ સમગ્ર આયોજનને સફળતા અપાવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular