જામનગરની પર્યાવરણપ્રેમી સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા આજરોજ વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટાઉનહોલ ખાતે વિશેષ રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકો, પર્યાવરણપ્રેમીઓ, વન્યજીવ તસ્વીરકારો, એનિમલ રેસ્ક્યૂ, બર્ડ રેસ્ક્યૂ તથા સ્નેક રેસ્ક્યૂ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને વ્યક્તિઓમાં વન્ય જીવ સંરક્ષણ તેમજ વાયુ અને જળ પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત કાયદાઓ અંગે જાગૃતિ અને કાયદાકીય સમજ વિકસાવવાના હેતૂ સાથે આ સેમિનાર યોજાયો હતો. આ તકે રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી, રાજ્યના મંત્રી અને જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીવાબા જાડેજા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથવાણી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.


