Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરબ્રેઇન સ્ટ્રોક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર

બ્રેઇન સ્ટ્રોક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર

સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુભાઇ બેરા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા : રાઘવજીભાઇની તબિયત અંગે જાણકારી મેળવી : આજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ તબિયત જાણવા રાજકોટ આવશે

- Advertisement -

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે. હાલ તેમને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે. જરૂર પડયે વધુ સારવાર માટે અમદાવાદ અથવા તો મુંબઇ લઇ જવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્યોએ સીનર્જી હોસ્પિટલમાં રાઘવજી પટેલના પરિજનોને મળીને તેમને ખબર અંતર પૂછયા હતા. તેમજ ડૉકટરો પાસેથી રાઘવજીભાઇની સ્થિતિનો રિપોર્ટ પણ મેળવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી સહિતના મંત્રીઓ અને ઉચ્ચ આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.

- Advertisement -

કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. હાલ ઓબ્ઝર્વેશન પર રખાયા છે. રાજકોટ એઇમ્સના ડોક્ટરોની ટીમ સીનર્જી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. એઇમ્સના ડિરેકટર સહિતના નિષ્ણાંત ડોકટરોએ રાઘવજીભાઈની તબિયત તપાસી હતી. સીનર્જી હોસ્પિટલમાંથી જ રાજકોટ એઇમ્સના તબીબોએ દિલ્હી એઇમ્સના એક્સપર્ટ ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી સારવાર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયાએ જણાવ્યુ હતું કે, રાઘવજીભાઈની તબિયત સ્થિર છે. જોકે હાલ આઇસીયુમાં ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ તરફ રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી, ધારાસભ્યો, સાંસદો રાઘવજીભાઈની તબિયત જાણવા સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ આવશે અને રાઘવજીભાઈની તબિયત અંગે જાણકારી મેળવશે. ધ્રોલથી રાઘવજીભાઈના પુત્ર મહેન્દ્રભાઈ પટેલ, તેમના ભાઈ મગનભાઈ મુંગરા, અગ્રણી વિજયભાઈ મુંગરા, પ્રો. ડો.વિજયભાઈ સોજીત્રા, ધ્રોલ યાર્ડ ચેરમેન રસિકભાઈ ભંડેરી સહિતના રાજકોટ દોડી આવ્યા હતા. રાઘવજીભાઈની તબિયત જાણવા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, મનપાના સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોધરા, રાજકોટના ભાજપ અગ્રણી ડી.કે. સખીયા, રાજુભાઇ ધ્રુવ, ઉપરાંત જામનગર પંથકના ભાજપ અગ્રણીઓ રાજકોટ સીનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓમાં કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ વગેરે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે જામનગર જિલ્લાના બેરાજા ગામે ગાઉં ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં હાજરી આપવા રાઘવજીભાઈ બેરાજા પહોંચ્યા હતા. અહીં તેમની તબિયત બગડતા જામનગર બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ અહીં આઇસીયુમાં સારવાર હેઠળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular