જામનગર તાલુકાના નાઘેડી પાસેના લહેર તળાવમાં ઝંપલાવી યુવતીએ કરેલા આપઘાતના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડીમાં આવેલા લહેર તળાવમાં ગઈકાલે બપોરના સમયે યુવતીનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી મળી આવેલા યુવતીના મૃતદેહની ઓળખ મેળવતા મૃતક કલ્યાણપુર તાલુકાના ચુર ગામમાં રહેતી વનિતાબેન (ઉ.વ.24) નામની યુવતીની હોવાની અને યુવતી જામનગરની સરકારી નર્સિંગ હોસ્ટેલમાં રહેતી હતી અને નર્સિંગમાં અભ્યાસ કરતી હતી દરમિયાન ગઈકાલે સવારે નર્સિંગ હોસ્ટેલેથી નિકળ્યા બાદ યુવતી પરત આવી ન હતી. દરમિયાન યુવતીએ નાઘેડીના લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા યુવતીના કાકાએ મૃતકની ઓળખ કરી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


