જામનગર શહેર અને જિલ્લામાં થોડાંક સમયથી અકસ્માતમાં મોત નિપજાવવાની ઘટના ચિંતાજનક રીતે વધી રહી છે. ગઈકાલે સાંજે કનસુમરાના પાટીયા નજીક પુરપાટ બેફીકરાઈથી આવી રહેલા ટ્રકે બાઈકચાલકને હડફેટે લેતા ચાલકના માથા ઉપરથી ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતા યુવાનનું માથુ ફાટી જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક કનસુમરા ગામના પાટીયા પાસે ગઈકાલે મોડીસાંજના સમયે પસાર થતા બાઈકચાલકને પુરપાટ બેફીકરાઈથી આવી રહેલા ટ્રકે જોરદાર ઠોકર મારતા બાઈકચાલક રોડ પર પટકાયો હતો અને ત્યારબાદ ટ્રકનું તોતિંગ વ્હીલ ચાલકના માથા ઉપરથી ફરી વળતા માથુ ફાટી જતાં ઘટનાસ્થળે જ યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવતા મૃતકનું નામ જીવણભાઈ હોવાનું ખુલતા પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરવા અને ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બનતા રોડ પર થોડા સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકો એકઠાં થઈ ગયા હતાં.


