જામનગર શહેરમાં હાથી કોલોની વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના પતિ સાથે સંયુકત ફલેટની ખરીદી કરી લોન લીધી હતી અને આ લોનના બાકી રહેતાં પૈસા પતિએ ભરી દેવાનું કહી છૂટાછેડામાં સહી કરી દેવાનું જણાવી પત્નિ સાથે રૂા.15.92 લાખની છેતરપિંડી કરી ધમકી આપી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હાથી કોલોની શેરી નંબર-1 વિસ્તારમાં રહેતાં ફિઝીયોથેરાપી રિધ્ધીબેન મુળરાજભાઈ થોભાણી (ઉ.વ.35) નામના મહિલાના લગ્ન વડોદરાના ગોત્રીમાં રહેતાં વિશાલ માધવદાસ પંચમતિયા સાથે થયા હતાં. દંપતીએ વર્ષ 2022 દરમિયાન સંયુકત નામે ફલેટની ખરીદી કરી હતી અને ફલેટ માટે એચડીએફસીમાંથી 28,50,000 ની લોન કરાવી હતી અને આ લોનના હપ્તા ભરતા હતાં. ચાલુ લોને મહિલાના એચડીએફસી બેંકના ખાતામાંથી વર્ષ 2022 માં 10,01,251 ભર્યા હતાં અને ત્યારબાદ બન્ને વચ્ચે સમજુતી થઈ હતી કે લોનના બાકી રહેતા રૂપિયામાંથી રૂા.3 લાખ હું ભરી દઈશ અને બાકીના તું ભરી ત્યારબાદ ફલેટનો દસ્તાવેજ તારે નામે કરાવી આપીશ અને છુટાછેડામાં કે પિટીશનમાં સહી કરી દઇશ તેવી સમજૂતી થઈ હતી.
દરમિયાન મહિલાએ ડિસેમ્બર 2023 માં રૂા.5,90,773 રૂપિયા લોનના ભરાવી દીધા હતાં અને બન્ને વચ્ચે થયેલી સમજુતી મુજબ, વિશાલને ફલેટ નામે કરવાનું કહ્યું હતું. પરંતુ વિશાલે દસ્તાવેજ કર્યો ન હતો. દરમિયાન 14 ફેબ્રુઆરી 2024 ના રોજ મહિલા તેણીના પતિ વિશાલને બાળકો સાથે મળવા ગઇ હતી ત્યારે વિશાલે કહ્યું હતું કે, આ ફલેટ મારા નામે કરાવી દેજે નહીંતર પતાવી દઇશ તેવી ધમકી આપી હતી ઉપરાંત મહિલા પત્ની પાસે રૂા.15,92,024 ની રકમ લોનમાં ભરાવી દીધી હતી. અને પત્નીના નામે દસ્તાવેજ નહીં કરી આપી વિશ્ર્વાસઘાત કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં મહિલાએ તેણીના પતિ વિશાલ પંચમતિયા સામે રૂા.15 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.