નાની રાફુદડનો શખ્સ પોતે લગ્ન કરેલ હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 15 હજારનો દંડ અને ચાર લાખ રૂપિયા ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડના મહેન્દ્ર વિઠ્ઠલ સોનગરા નામના શખ્સે પોતે લગ્ન કર્યા હોવા છતાં સગીરાને મોબાઇલ નંબર આપી તેમાં વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી મળવા બોલાવી હતી અને ભોગ બનનારની ઇચ્છા વિરૂદ્ધ શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ આ વાત કોઇને કહીશ તો તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી સગીરાએ ઘરે કોઇને આ વાત કરી ન હતી. અને આરોપી બોલાવે ત્યારે ભોગ બનનાર જતી હોય આરોપીએ ત્રણ વખત બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે ભોગ બનનાર ડરી ગઇ હોય તેના મામાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ આરોપીનો ભોગ બનનારના ઘરના મોબાઇલમાં ફોન આવતા ભોગ બનનારના માતા-પિતાને જાણ થઇ હતી.
આથી આ અંગે ભોગ બનનારે તમામ ઘટનાની તેના માતા-પિતાને જાણ કરતાં લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે કેસ જામનગર સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં દસ્તાવેજી પુરાવાઓ, સરકાર તરફે રજૂ થયેલ સાક્ષીઓ અને સરકારી વકીલની દલીલો માન્ય રાખી પોક્સો કોર્ટના જજ આર. પી. મોગેરાએ આરોપીને તકસીરવાન ઠેરાવ્યો હતો. આરોપીને પોક્સો કલમ 4 હેઠળ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજારનો દંડ તેમજ પોક્સો કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. 4 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.


