નવા મોખાણા ગામની સીમમાં રહેલ દીપડો આખરે વન વિભાગના પાંજરે પૂરાયો છે. આ અંગે ગ્રામજનો તથા આજુબાજુના વાડી વિસ્તારના લોકોને જાણ કરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જામનગરના મોખાણા ગામે થોડાં દિવસ પૂર્વે દીપડો દેખાયો હતો. દીપડાએ ધામા નાખતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે વન વિભાગ દ્વારા પેટ્રાલિંગ કરી મારણ અને ટ્રેપ કેમેરા સાથે પાંજરા મૂકયા હતા અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. છેલ્લા એકાદ મહિનાથી મોખાણા ગામમાં દીપડો આંટાફેરા કરતો હતો. આ દરમ્યાન થોડાં દિવસ પૂર્વે અહીંથી બકરીઓને ચરાવવા માલધારી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે દીપડાએ એક બકરીને મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને માલધારી યુવાને હિમ્મત દાખવી બચાવી લેતાં દીપડો બકરી મૂકીને નાસી ગયો હતો. આ ઘટનાને લઇ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.
વન વિભાગ દ્વારા રાત્રિના નાઇટ વિઝન ડ્રોન ઉડાડી સર્વે કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન આખરે દીપડો કેમેરામાં કેદ થયો હતો અને પાંજરામાં પૂરાયો હતો. આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામના સરપંચ રાજેશભાઇ લખિયર અને ગ્રામજનો તથા આજુબાજુના વાડી વિસ્તારના લોકોને જાણ કરી હતી.


