દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર ગામની સીમમાં ખેતીકામ દરમિયાન એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પોતાની વાડીએ પાકમાં જંતુનાશક દવા છાંટતી વખતે અચાનક ઝેરી દવાની તીવ્ર અસર થવાના કારણે 34 વર્ષીય ખેડૂત યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. જગતના તાત સમાન યુવાન ખેડૂતના આ પ્રકારે થયેલા આકસ્મિક અવસાનથી સ્થાનિક આહિર સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા અને ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નારણભાઇ ભાયાભાઇ માડમ (ઉ.વ. 34) ગત્ તા. 06ના બપોરે પોતાની વાડીએ પાકમાં દવા છાંટવાનું કામ કરતાં સમયે ઝેરી દવાની વિપરીત અસરના કારણે તેમની તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ મુળુભાઇ દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


