જામનગર શહેરના દાંડિયા કલાસના સંચાલક યુવાને આજે અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યાના બનાવથી અરેરાટી ફેલાઇ ગઇ છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સ્વામીનારાયણ નગરમાં રહેતા અને કાશી વિશ્વનાથ રોડ પર આવેલી બ્રહ્મપુરી વાડીમાં રૂદ્ર દાંડિયા કલાસ ચલાવતાં નિરવ અગ્રાવત(ઉ.વ.36) નામના યુવાને આજે સાંજે કોઇ કારણોસર આત્મહત્યા કરી લેતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં દાંડિયા કલાસ સંચાલકોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ કરતાં પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગેની વિગતો મેળવવા તપાસ આરંભી હતી. જોકે, આશાસ્પદ યુવાનની આત્મહત્યાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે આ અંગે વધુ વિગતો મેળવવા કાર્યવાહી આરંભી હતી.