જામજોધપુર તાલુકાના દલદેવળિયા ગામમાં રહેતાં વૃધ્ધે બાયપાસ કરાવ્યા બાદ તેના ઘરે પલંગ પરથી ઉભા થવા જતા પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના દલદેવળિયા ગામની રામોલિયા ફળીમાં રહેતાં પરશોતમભાઈ મેઘજીભાઈ રામોલિયા (ઉ.વ.70) નામના વૃદ્ધને ઘણાં વર્ષોથી ડાયાબિટીસની બિમારી હતી અને આ બિમારી દરમિયાન બાયપાસ સર્જરી પણ કરાવી હતી. દરમિયાન ગત તા.27ના રોજ સવારના સમયે વૃદ્ધ તેના ઘરે પલંગ પર સુતા હતાં અને ત્યારબાદ ઉભા થવા જતા પલંગ પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ગુરૂવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર હિરેનભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.આર. સાગઠિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


