કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામમાં રહેતાં પ્રૌઢની દુકાનના ગલ્લામાંથી બે અજાણ્યા ગઠિયાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી ખરીદી કરવાના બહાને પ્રૌઢનું ધ્યાન ભટકાવી રૂા. 50 હજાર રોકડા સેરવી ગયા હતા.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા અને ખેતી તથા ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા નાથાભાઈ જીવાભાઈ કરમુર નામના 55 વર્ષના આહિર પ્રૌઢની દુકાને સોમવાર તા. 13 ના રોજ બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આશરે 25 થી 30 વર્ષની વયના આ બે અજાણ્યા શખ્સોએ દુકાનદાર એવા નાથાભાઈ કારમુર પાસે મોટરસાયકલના પ્લગ, ઓઈલ વિગેરે જેવી ચીજ વસ્તુઓની ખરીદી કરી અને અન્ય એક શખ્સે ઓઇલ – પ્લગની ખરીદી કરવાના બહાના હેઠળ નાથાભાઈનું ધ્યાન ભટકાવી દીધું હતું.
આ પછી આ ગઠિયાઓએ દુકાનદારના કાઉન્ટરમાં રહેલા રોકડ રકમના થપ્પામાંથી રૂ. 50,000 નું રૂ. 500 ના દરની ચલણી નોટોનું એક બંડલ સેરવીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે કલ્યાણપુર પોલીસે વેપારી પ્રૌઢની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આ ગઠિયાઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


