Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરસ્થિતિ આઘાતજનક પરંતુ ઉપાયો વ્યવહારૂ હોવા જરૂરી

સ્થિતિ આઘાતજનક પરંતુ ઉપાયો વ્યવહારૂ હોવા જરૂરી

- Advertisement -

જામનગર-ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે સ્થિતિ આઘાતજનક બનાવી મૂકી છે. ઉપરાઉપરી કોરોના પોઝિટીવ કેસો જાહેર થઇ રહ્યા છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. મોતને ઘટાડવામાં તંત્રોને સફળતા મળી રહી નથી. બીજીબાજુ ઓકિસજન સહિતની જરૂરી ચીજોની અછતની બૂમો અને કોરોના હોસ્પિટલોમાં અવ્યવસ્થાની બૂમરાણ મચી રહી છે. હોસ્પિટલથી માંડીને સ્મશાન સુધીના મહત્વના સ્થળોએ કરૂણ દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. કોરોના અંકુશમાં લેવામાં આપણે સૌ નબળાં પૂરવાર થઇ રહ્યા છીએ.આ સ્થિતિમાં વ્યવહારૂ ઉપાયો શોધવા આવશ્યક જ નહીં, અનિવાર્ય બની ચૂકયું છે. સ્થિતિ પર શકય તેટલી ઝડપે વહીવટીતંત્ર-આરોગ્યતંત્ર અને સરકારનો ઝડપથી કાબૂ આવે તે ફરજીયાત બની ગયું છે. લોકોએ પણ સ્થિતિની ગંભીરતા પારખી વધુ સતર્ક બનવું જરૂરી બની ગયું છે. આપણી બેદરકારી આપણાં શ્વાસ બંધ કરી તે પ્રકારની સ્થિતિ આવી પહોંચી છે.

- Advertisement -

આંશિક અથવા પૂર્ણકક્ષાના લોકડાઉનની તરફેણમાં અને વિરૂધ્ધમાં લોકો ચર્ચા કરી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ રાજયભરમાં તેમજ દેશમાં વિવિધ પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે અને સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રચાર-પ્રસાર અને અમલવારી વધી રહ્યા છે. પરંતુ લોકડાઉન પ્રથમ વિકલ્પ નથી, આખરી ઉપાય છે.

થોડાં દિવસ પહેલા પ્રધાનમંત્રીએ ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ એમ ત્રણ ટી પર ભાર મૂકયો હતો. કમનસીબે સરકારો અને તંત્રો આ ત્રણ ટી ને જરૂરી પ્રમાણમાં અમલમાં મૂકી શકયા નથી. પ્રત્યેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોકેટ ગતિએ દરેક વ્યકિતનો કોરોના ટેસ્ટ થાય તે જરૂરી છે. આ ઉપરાંત કોરોના પોઝિટીવ જાહેર થયેલી વ્યકિત પર તંત્રોની સતત દેખરેખ રહે તે પણ જરૂરી છે અને સાથે સાથે કોરોના દર્દીઓની સારવાર વધુ અસરકારક રીતે અને મોટા પાયા પર થાય તે પણ ફરજિયાત બની ગયું છે.કમનસીબે સરકારો અને તંત્રો આ ત્રણમાંથી એકેય ટી પર અસરકારક રીતે કામગીરી કરવામાં સફળ બની રહ્યા નથી. જેના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.

- Advertisement -

ઘણાં બધા લોકો સ્વૈચ્છિક અથવા ફરજિયાત લોકડાઉનની તરફેણ કરે છે. આ તકે સૌ એ યાદ રાખવું જોઇએ કે લોકડાઉન આખરી ઉપાય નથી. લોકોમાં બેરોજગારી ચિંતાજનક સ્તરે આગળ વધી રહી છે. મોટા ભાગના લોકોની આવક મોઘવારીની સરખામણીએ ઘટી રહી છે. નાના વેપારીઓ અને કારખાનેદારો સહિતનો દેશવાસીઓનો મોટો વર્ગ એક વર્ષથી કોરોના-લોકડાઉન-કારમી મંદીમાં સપડાયેલો છે. આ સ્થિતિમાં સ્વૈચ્છિક અથવા પૂર્ણ કક્ષાનું લોકડાઉન કઇ રીતે અમલમાં મૂકી શકાય? મહામારીનો સામનો કરવો જરૂરી છે.પરંતુ તેની સામે પ્રત્યેક વ્યકિતનો બે ટંકનો રોટલો અને સ્વચ્થ જીંદગી લોકડાઉન કરતાં પણ મહત્વની બાબતો છે. આપણે સૌ અપેક્ષા રાખીએ કે, મહાનુભાવો, તંત્રો અને સરકારો આ દિશામાં અસરકારક કામગીરી દેખાડે. બાકી તો, પ્રભુ બચાવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular