જામનગર તાલુકાના મોખાણા ગામમાં ત્રણ સપ્તાહથી દીપડો આંટાફેરા કરતા હોવાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા છે અને લગભગ દરરોજ ગામમાં દીપડો આવતો હોય છે. દરમ્યાન દીપડાએ બકરીને પકડી લેતાં ભરવાડે હિમ્મત દાખવતા દીપડો બકરી મૂકીને જતો રહ્યો હતો. દીપડાની દહેશતના કારણે સરપંચે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવ તો, રાજીનામુ આપવાની ચિમકી આપી હતી.
મળતી વિગત મુજબ છેલ્લા થોડાંક સમયથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેમાં પણ ખાસ કરીને જામનગર તાલુકાના મોખાણા ગામમાં એક મહિનાથી દીપડાના આંટાફેરા વધી ગયા છે અને દીપડો દેખાવાના વિડિયો પણ સોશિયલ મિડિયાના સમાચાર પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધ થઇ ચૂકયા છે. દરમ્યાન હાલમાં જ હાજાભાઇ ભરવાડ તેની બકરીઓને ચરાવવા લઇ ગયા હતા ત્યારે ગામની સીમમાં દીપડાએ એક બકરીને ગળેથી પકડી લીધી હતી. જે નજરે પડતાં ભરવાડ યુવાને હિમ્મત દાખવી લાકડી વડે દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં દીપડો બકરીને મૂકીને જતો રહ્યો હતો.
View this post on Instagram
આ ઘટના પૂર્વે મોખાણા ગામના સરપંચ રાહુલભાઇ તથા તાલુકા પંચાયતના સદસ્ય કિશોરભાઇ પણ ગામની સીમમાં પહોંચી ગયા હતા. આ બન્નેએ ભરવાડ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સરપંચ દ્વારા અગાઉ પણ ફોરેસ્ટ વિભાગને દીપડા અંગેની જાણકારી આપી હોવા છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંચ-પાંચ દિવસથી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તો શું ફોરેસ્ટ વિભાગ કોઇ ગ્રામજન અથવા અબોલ પશુનો જીવ લેશે ત્યારે જ દીપડાને પકડવાની કામગીરી કરશે? સરપંચ દ્વારા રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગની ઢીલી નીતિના કારણે સરપંચે ચિમકી આપતા જણાવ્યું હતું કે, જો ફોરેસ્ટ વિભાગ દીપડા સામે તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો સરપંચ રાહુલભાઇ રાજીનામુ આપી દેશે. આમ, ફોરેસ્ટની કામગીરી ઉપર અનેક સવાલો થઇ રહ્યાં છે અને ગ્રામજનો દીપડાના ભયમાં ફફડાટથી જીવી રહ્યાં છે.


