આજે ચૈત્રી પૂનમ છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. છોટીકાશી જામનગરમાં આવેલ વિશ્ર્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર સહિતના અનેક હનુમાનજીના મંદિરોમાં દરવર્ષે ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધ્યું હોય જેને ધ્યાને લઇ મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. જેથી જામનગરમાં સાદગીપૂર્વક હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાલા હનુમાન મંદિર ભક્તો માટે બંધ હોય, ભક્તો દ્વારા બાલા હનુમાનના ગેઇટ પાસેથી પણ હનુમાન જયંતિ નિમિત્તે દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત રાજપાર્ક નજીક આવેલા હઠીલા હનુમાન તેમજ સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે ભક્તો સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લીધો હતો. દરવર્ષે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાવિકોની ભાડે ભીડ જામતી હોય છે. પરંતુ આ વર્ષે મંદિરો બંધ હોય, સુમસામ જોવા મળ્યા હતાં. તો કેટલાંક મંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન ખુલ્લા રખાયા હતાં.