મહોરમ પર્વને ધ્યાનમાં રાખી જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા હતા.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે દરબારગઢ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી તેમજ સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક લોકો સાથે પણ સંવાદ સાધી શાંતિ, સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ નિરીક્ષણ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતા.
મહોરમના તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરભરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, મોનીટરિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.


