જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા અને રિક્ષા ચલાવતા યુવાને ઘરવપરાશ તથા દવાખાનાના કામ માટે 10 ટકાના વ્યાજે જંગી વ્યાજે બે વ્યાજખોરો પાસેથી લીધેલી રકમનું વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં બન્ને વ્યાજખોરો દ્વારા કરાતી વ્યાજની ઉઘરાણીથી કંટાળી યુવાને એસિડ જેવું પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતો અને રિક્ષા ચલાવતો મિલનભાઇ પાલાભાઇ ખરા (ઉ.વ.27) નામના યુવાને તેના ઘર વપરાશ તથા દવાખાનાના કામ સબબ પાંચ વર્ષ પહેલાં નારણપરના જ કલ્પેશ ઉર્ફે લાલો કાંતિભાઇ ઉર્ફે લખુભાઇ ચાંદ્રા પાસેથી 10 ટકાના માસિક વ્યાજે રૂા. 1.40 લાખ લીધા હતા. તેમજ બે વર્ષ પહેલાં દિનેશ લખુભાઇ નંદા પાસેથી 10 ટકાના માસિક વ્યાજે રૂા. 50 હજાર લીધા હતા. આમ, બન્ને વ્યાજખોરોને સમયસર વ્યાજ ચૂકવતો હતો. દરમ્યાન કયારેક વ્યાજ ચૂકવવામાં સમય લાગતાં બન્ને વ્યાજખોરો યુવાનના ઘરે આવી ગાળાગાળી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હતાં. જેથી ત્રાસી ગયેલા યુવાને તેનું મકાન ગિરવે મૂકી નોર્થન ફાઇનાન્સમાંથી લોન લઇ અને કલ્પેશને 3 લાખ રોકડા તથા દિનેશને 50 હજાર રોકડા ચૂકવ્યા હતા.
ત્યારબાદ પણ બન્ને વ્યાજખોરોએ યુવાન પાસેથી અવારનવાર વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરવા ફોન પર તથા રૂબરૂ ધમકાવી ત્રાસ આપતા હતા. બન્ને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ મિલનભાઇએ ગત્ તા. 30ના સાંજના સમયે તેના ઘરે એસિડ જેવું પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ ડી. જી. ઝાલા તથા સ્ટાફે મિલનભાઇના નિવેદનના આધારે બન્ને વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.