જામનગર શહેરના મોટાંભાગના જાહેર રસ્તાઓ પર પથ્થારાવાળાઓ અને રેંકડીવાળાઓએ દબાણ કરી લીધું છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ દબાણ હટાવવા અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બીજે દિવસે ફરીથી પથ્થારાવાળાઓએ કબ્જો જમાવેલી જગ્યા પર ફરીથી ધંધો કરવા બેસી જાય છે. જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, એસ્ટેટ શાખાના એન.આર. દિક્ષીત અને સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફે મંગળવારે સાંજના સમયે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલથી સેન્ટઆન્સ સુધીના માર્ગ પર આડેધડ રેંકડીઓ રાખી દબાણ કરેલા તથા દુકાન બહાર સામાન રાખી રસ્તા પર નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ રેંકડીઓ કબ્જે કરવામાં આવી હતી. મેયર દ્વારા છેલ્લાં ઘણાં સમયથી બર્ધન ચોક વિસ્તારમાં પણ પથ્થારાવાળાને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, આ કામગીરી અવિરત રાખવી પડે તેવી પરિસ્થિતિ છે.