જામનગર જિલ્લામાં સંગઠિત ગુનાઓ પર નિયંત્રણ લાવવા હાથ ધરાયેલી વિશેષ કાર્યવાહીના ભાગરૂપે કુખ્યાત “સાયચા ગેંગ” સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ GUJCTOC Act-2015 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે એજાજ ઉમરભાઈ સાયચા અને રજાક નુરમામદભાઈ સાયચાએ પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી, ગેરકાયદેસર વસૂલી, ફાયરિંગ, આર્મ્સ એક્ટ, જમીન કબજો, જાનથી મારી નાખવાની ધમકી, રાયોટિંગ, જુગાર, પ્રોહિબિશન તથા અન્ય ગંભીર ગુનાઓ આચરી સામાન્ય નાગરિકોમાં ભય અને ત્રાસનું વાતાવરણ ઉભું કર્યું હતું.
પોલીસ તપાસ મુજબ સાયચા ગેંગના સભ્યો સામે અત્યાર સુધી કુલ ૭૪ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ, આર્મ્સ એક્ટ, જુગારધારા, પ્રોહિબિશન, મારામારી, ધમકી અને ગેરકાયદેસર ધંધાઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
આ આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં GUJCTOC Act-2015 ની કલમ 3(1)(ii), 3(2), 3(4) તથા 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલમાં ૬ આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે જ્યારે ૫ આરોપીઓ પૈકી કેટલાક જેલમાં છે અને એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram
હસ્તગત કરાયેલા આરોપીઓમાં ગુલામ જુસબભાઈ સાયચા, મહેબુબ જુસબભાઈ સાયચા, અસગર જુસબભાઈ સાયચા, હનીફ નુરમામદભાઈ સાયચા, ઇમ્તીયાઝ નુરમામદભાઈ સાયચા અને રજાક દાઉદભાઈ ચાવડા ઉર્ફે “રજાક સોપારી”નો સમાવેશ થાય છે.
પકડવાના બાકી આરોપીઓમાં બસીર જુસબભાઈ સાયચા, સિકંદર નુરમામદભાઈ સાયચા, ઇમરાન નુરમામદભાઈ સાયચા, રજાક નુરમામદભાઈ સાયચા તથા એજાજ ઉમરભાઈ સાયચાનો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા જણાવાયું છે કે ગેંગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ સામે પણ તપાસ ચાલુ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા વસાવેલી મિલકતોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે.


