જામનગરમાં ઇસ્કોન પરિવાર દ્વારા ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે યોજાયેલ ભગવાન જગન્નાથ જેની રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. જામનગરના મેયર, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી રથ ખેંચ્યો હતો.
જામનગર શહેરમાં ઇસ્કોન દ્વારા ગઇકાલે સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધૂંવાવ રોડ પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધામિર્ક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં જામનગર-રાજકોટ હાઈવે, કુંવાવ રોડ, ઈસ્કોન મંદિરમાં સવારે 4-30 વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થયુ હતું. ત્યારબાદ શ્રૃંગાર દર્શન, ધામિર્ક પ્રવચન, વિશષ આરતી-છપ્પનભોગ દર્શન સહિતના આયોજનો થયા હતાં.
ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ)ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ હતો. જે રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ગણ સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થઇ હતી. દરવાજા, રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત તેમજ પ્રસાદ, ફ્રૂટ્સ, ઠંડા પાણી, સરબતનું વિતરણ થયું હતુ તથા રથયાત્રા દરમિયાન કૃષ્ણ ભક્તો સંકીર્તન, હરે કૃષ્ણના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવી હતી.
આ રથયાત્રા દરમિયાન જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, નોબત દૈનિકના ચેતનભાઇ માધવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. અને ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી. તેમજ મોટી સંખ્યામાં ભકતો પણ જોડાયા હતાં.