જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતાં વૃદ્ધ તેના બાઈક પર સુરાપુરા દાદાના મંદિર નજીકનો રોડ ક્રોસ કરતા હતાં તે દરમિયાન પુરપાટ આવી રહેલા બાઈકચાલકે વૃદ્ધને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચવાથી વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતાં ભરતસિંહ મુળુજી જાડેજા નામના વૃદ્ધ નામના વૃદ્ધ મંગળવારે સવારના 08:30 વાગ્યાના અરસામાં જાંબુડા ગામથી આગળ આવેલા સાપોવડીયા પરિવારના સુરાપુરા દાદાના મંદિર પાસેના રોડ પરથી તેના જીજે-10-સીએસ-8267 નંબરના બાઈક સાથે રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ડીએચ-9526 નંબરના બાઈકચાલક કુલદિપસિંહ વાઢેરે વૃધ્ધના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ભરતસિંહને શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ગીરીરાજસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એચ. સાકળિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાંબુડા નજીક બાઈકે ઠોકર મારતા બાઈકચાલક વૃધ્ધનું મોત
બાઈક પર રસ્તો ક્રોસ કરતા સમયે અકસ્માત : અકસ્માતમાં રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસ દ્વારા વૃદ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી બાઈકચાલક વિરૂધ્ધ કાર્યવાહી