જામનગરના ગોકુલનગર સર્કલથી સમર્પણ સર્કલ સુધીના 30 મીટર ડીપી રોડ બનાવવાની કામગીરી અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ગોકુલનગર સર્કલથી સમર્પણ સર્કલ તરફ જવાના 30 મીટર નવા ડીપી રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ રોડ પર અંદાજે રપ થી વધુ આસામીઓ દ્વારા દબાણ કરાયું છે. ગેરેજ, હોટેલ તથા અન્ય નાના-મોટા બાંધકામો ખડકી દેવાયા છે. જેને તંત્ર દ્વારા અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. આ અંતિમ નોટિસની મુદત પૂરી થઇ ગઇ હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાનો 40 થી વધુ કર્મચારીઓની કાફલો ડિમોલીશનમાં જોડાયો હતો.
જુદા-જુદા 4 જેસીબી મશીનો અને ટ્રેકટર સહિતના મશીનો સાથે આજે સવારથી જ ગોકુલનગર સર્કલથી સમર્પણ સર્કલ સુધીના માર્ગ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલીશન દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.