જામનગર શહેરના રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી અને કર્મકાંડ કરતી યુવતીએ તેની સગાઇ તૂટી જવાથી જિંદગીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ પર ગોરબાપા પાન સામેની શેરીમાં રહેતી અને કર્મકાંડ કરતી જ્યોતિબેન જયંતીલાલ આચાર્ય (ઉ.વ.22) નામની યુવતીની સગાઇ ખંભાળિયા ખાતે કરવામાં આવી હતી અને આ સગપણ પારિવારિક કારણોસર તૂટી ગઇ હતી. જેથી યુવતી ગૂમસૂમ રહેતી હતી. સગાઇ તૂટી જવાના કારણે જિંદગીથી કંટાળીને યુવતીએ ગુરૂવારે સવારના સમયે તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા જયંતીલાલ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. એ. એમ. પીપરોત્તર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


