કાલાવડના વેપારી સાથે નડિયાદના બે શખ્સો દ્વારા છેતરપિંડી આચર્યાના બનાવમાં બન્ને શખ્સોની ધરપકડ બાદ આ પૈકીના એક શખ્સ વિરૂધ્ધ જામ કંડોરણાના વેપારી સાથે છ લાખની છેતરપિંડી આચર્યાની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડમાં રહેતાં ભાવેશ પાનસુરિયા નામના ઓઇલ મીલ સંચાલક સાથે અમદાવાદના નિકોલમાં રહેતા જગત ઉર્ફે જનકભાઈ જગદીશચંદ્ર ભટ્ટ નામના શખ્સે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરવા માટે પોતાની ઓળખ ઉત્તમ બારોટ તરીકે આપી નડિયાદમાં નવા ગંજ બજાર કબ્રસ્તાન પાસે ‘સંતરામ સેલ્સ એન્ડ કોર્પોરેશન’ના નામની પેઢી બનાવી કાલાવડ તાલુકાના હરિપર ગામમાં આવેલી વ્રજ કેટલ ફિડ પ્રા.લી. ના સંચાલક નિરવ ભુપતભાઈ બાલધા નામના પટેલ યુવાન સાથે પ્રથમ વખત 200 ગુણી ખોળનો ઓર્ડર આપી સમયસર નાણાં ચૂકવી વિશ્ર્વાસ જીતી લીધો હતો અને ત્યારબાદ 8 જાન્યુઆરીના રોજ ઉત્તમ બારોટે નિરવ પાસેથી મોબાઇલ પર ઓર્ડર આપી રૂા.6,01,600 ની કિંમતની રૂા.16 હજાર કિલોની 320 ગુણી ખોળ મંગાવ્યું હતું.
ત્યારબાદ આ ઓર્ડર મોકલ્યા પછી જગત ઉર્ફે જનક અને તેના અન્ય સાગરિત આકાશ ફૌજી નામના બન્ને શખ્સો પાસે અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ બન્ને શખ્સો દ્વારા પૈસા ન આપી છેતરપિંડી આચરી વિશ્ર્વાસઘાત કર્યો હતો. આખરે નિરવે આ બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે જગત ઉર્ફે જનક ભટ્ટ અને આકાશ ફૌજી વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, આ છેતરપિંડી પૂર્વે જ કાલાવડના ઓઇલ મિલ સંચાલક સાથેની છેતરપિંડીમાં એલસીબીએ જગત ઉર્ફે જનકને હાલમાં જ ઝડપી લીધો હતો.


