જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવાન ઉપર છરીનો જીવલેણ ઘા ઝિંકી દીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ (ઘેડ) આરોગ્ય કેન્દ્ર પાસે રહેતાં સચિન કિશોરભાઇ (ઉ.વ. 27) નામના યુવાને તેના જ વિસ્તારમાં રહેતા સુરેશ રમેશ મકવાણાને દોઢ વર્ષ પહેલાં રૂા. 80 હજાર હાથ ઉછીના આપ્યા હતા. જે પેટે રૂા. 20 હજાર કટકે કટકે પરત આપ્યા હતા. જ્યારે બે દિવસ પહેલાં રાત્રિના સમયે બાકી રહેતાં રૂા. 60 હજારની માંગણી કરતાં સુરેશે, “તારાં રૂપિયા નથી દેવા. થાય તે કરી લેજે.” તેમ કહી છરીનો ઘા ઝિંકી દીધો હતો અને ત્યારબાદ ઘવાયેલા સચિનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એસ. જી. કેશવાલા તથા સ્ટાફએ સચિનના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


