જામનગરમાં રહેતાં યુવાન ઉપર હુમલો કરવાના બનાવમાં ઇજાગ્રસ્તને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્તના બે મિત્રો ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે મારી નાખવાના ઇરાદે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલપુર ચોકડી પાસેના કર્મચારીનગરમાં રહેતાં અને કાર ભાડે આપવાનો વ્યવસાય કરતાં જયરાજસિંહ નવલસિંહ કંચવા (ઉ.વ.24) નામના યુવાનના મિત્ર રૂદ્ર રાઠોડએ રવિવારે રાત્રિના સમયે ક્રિસ્ટલ મોલ નજીક તેને માર મારવામાં આવ્યો હોવાનું જણાવતાં જયરાજસિંહ અને મહાવીરસિંહ ચૌહાણ બન્ને સ્થળ પર ગયા હતા. ત્યાંથી તેના મિત્ર રૂદ્રને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાન જયરાજસિંહ અને મહાવીરસિંહ ચૌહાણ બન્ને રવિવારની મદ્યરાત્રિએ ત્રણ વાગ્યાના અરસામાં ચા પીવા જી. જી. હોસ્પિટલની સામે હોટલે ઉભા હતાં. તે દરમ્યાન જયદીપસિંહ જાડેજા, હાર્દિક ઉર્ફે હદુભા ઝાલા, વિવકે ઉર્ફે વિક્કી કાપડી અને અજાણ્યા સહિતના ચાર શખ્સો બે બાઇક પર ધસી આવ્યા હતાં.
બાઇક પર આવેલા ચારેય શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાંના ધોકા સાથે આવી જયરાજસિંહ અને મહાવીરસિંહને જેમ ફાવે તેમ ગાળો કાઢી, “આજે તો તમને બન્નેને મારી જ નાખવા છે.” તેમ કહી જયરાજસિંહ ઉપર પાઇપનો ઘા ઝિંકતા જયરાજસિંહ ઢળી પડયો હતો. ત્યારબાદ મહાવીરસિંહ ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી બન્નેને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફએ જયરાજસિંહના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધો શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


