સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવો દ્વારા 11 મેના રોજ ઓખા રેલ્વે સ્ટેશનથી ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીનાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવે સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, ઓખા અને તિરુપતિ વચ્ચે આ નવી ટ્રેનની શરૂઆતથી બે મહત્વપૂર્ણ તીર્થધામો – દેવભૂમિ દ્વારકા અને તિરુપતિ બાલાજી – પરસ્પર જોડાઈ ગયા છે. આ ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી સુવિધા અને સરળ મુસાફરીનો લાભ મળશે.
View this post on Instagram
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) ઓખાથી દર સોમવારે 23.35 કલાકે ઉપડશે, મંગળવારે વહેલી સવારે 04.00 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે.
વળતી દિશામાં ટ્રેન નંબર 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક) તિરુપતિથી દર ગુરુવારે સવારે 08.15 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 05.25 કલાકે રાજકોટ અને તે જ દિવસે 11.50 કલાકે ઓખા પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવળ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા અને તિરુપતિ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.


