મોટીકાશી (વારાણસી)ના સાંસદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે રવિવારે છોટીકાશી (જામનગર)ના આંગણે પધાર્યા હતાં. જામનગર એરફોર્સ ખાતે રાત્રિના સમયે તેમનું આગમન થયું હતું. જ્યાં મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ લાલબંગલા સર્કલ ખાતે યોજાયેલ જનસભા સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. વડાપ્રધાનને સાંભળવા તેમની એક ઝલક નિહાળવા જામનગરવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે જામનગરની મુલાકાતે આવ્યા હતા. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં થયેલ ભવ્ય વિજય બાદ વડાપ્રધાન પ્રથમવખત જામનગર આવતા ભાજપાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. જામનગરમાં એરફોર્સ ખાતે રાત્રિના સમયે વડાપ્રધાનનું આગમન થયું હતું. જ્યાં મહાનુભાવોએ તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં. ત્યારબાદ વડાપ્રધાનનો કાફલો લાલબંગલા સર્કલ પાસે આયોજિત જનસભા પાસે પહોંચ્યો હતો. જનસભા સ્થળે વડાપ્રધાનને નિહાળવા શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram
જનસભા સ્થળે વડાપ્રધાન પહોંચતાં મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા, શિક્ષણમંત્રી રીવાબા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, પૂર્વમંત્રી આર. સી. ફળદુ, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશભાઇ ઠુમ્મર સહિતના હોદ્ેદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાલ, ખેસ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલારી પાઘડીમાં સજ્જ થઇ જનસભાને સંબોધી હતી.
જનસભાને સંબોધતા સૌપ્રથમ વડાપ્રધાને પૂછયું હતું કે, “ચૂંટણીનો થાક ઉતરી ગયો?” આવો ભવ્ય વિજય મળ્યો હોય થાક લાગ્યો જ ન હોય તેમ જણાવી તેમણે જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળેલા ભવ્ય વિજયની પ્રશંસા કરી ભાજપાના કાર્યકરો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીનો થાક ત્યારે લાગતો નથી જ્યારે જનતાનો એટલો ભવ્ય આશીર્વાદ અને વિશ્વાસ મળતો હોય. તેમણે ગુજરાતની જનતાનો ભાજપ પ્રત્યેનો અવિરત પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાને ગુજરાતના વિકાસ મોડેલની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. એક સમય હતો કે, મીઠાના ઉત્પાદન સિવાય કંઇ થતું નહીં કે કંઇ કરી શકતાં નહીં. જ્યારે આજે ગુજરાત સેમીક્ધડક્ટર ચીપ બનાવી રહ્યું છે. આ જ ગુજરાત આજે મેટ્રોના કોચ બનાવી રહ્યું છે. આ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જીન બનાવી રહ્યું છે. તેમજ આ ગુજરાત જે વિમાન બનાવવાની તૈયારીમાં લાગ્યું છે. દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જેણે ક્લાઇમેટ મંત્રાલય બનાવ્યું હતું. અત્યાર સુધી કોઇ કલ્પના ન હતી એવડી મોટી સૌરઉર્જા સૂર્યશકિત રિન્યૂબલ એનર્જીનું ગુજરાત મોટું કેપિટલ બન્યું છે. તેમણે સંબોધન દરમ્યાન જણાવ્યું હતું કે, “તમે લોકો શું સાંભળવા માંગો છો. તે મને ખબર છે.” તેમ કહી તેમણે બંગાળની ચૂંટણીના પરિણામોને લઈને પણ વડાપ્રધાને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દુનિયાભરમાં બંગાળના પરિણામોની ચર્ચા થઈ રહી છે અને આ પરિવર્તનથી અનેક ગુજરાતીઓને પણ હાશકારો થયો છે. બંગાળમાં પરિવર્તન આવવાથી માત્ર બંગાળની જનતા નહીં. દેશના અનેક લોકોને હાશકારો થયો છે. ત્યાંના લોકોને કેટલી ભયંકર પીડા થઇ હશે? જેનો અહેસાસ ગુજરાતના દરેક નાગરિકો કરી રહ્યાં છે. તેનાથી મોટી વાત શું હોઇ શક? સમગ્ર દુનિયામાં બંગાળ વિધાનસભાના પરિણામોની ચર્ચા થઇ રહી છે અને એ પણ નિશ્ચિત થયું છે કે, જે લોકો નકારાત્મકતાને પકડીને બેઠાં છે તેમની પાસે દેશને દેવા માટે કોઇ વિઝન નથી. માત્ર અપશબ્દો આપવા સિવાય કંઇ બચ્યું નથી. દેશની યુવાપેઢી પોતાનું ભવિષ્ય જૂએ છે.
તેમણે ગુજરાતની ટીમ અને જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતીઓ સેવા કાર્યમાં કોઈ કચાશ રહેવા દેશે નહીં. આજે સોમનાથ ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે સરદાર પટેલે 75 વર્ષ પહેલા જે સપનું જોયું હતું તે આજે સાકાર થઈ રહ્યું છે.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રિના મોડે સુધી આટલી વિશાળ સંખ્યામાં તમે લોકો ઉપસ્થિત રહ્યાં તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ચૂંટણીનો થાક ઉતરી ગયો?
View this post on Instagram
વડાપ્રધાને જનસંબોધનનો પ્રારંભ કરતાં પૂર્વે જ, “ચૂંટણીનો થાક ઉતરી ગયો?” તેમ જણાવી આત્મિયતા સાથે સંબોધનનો પ્રારંભ કર્યો હતો. જેના જવાબમાં ઉપસ્થિત જનમેદનીએ, “હા” પાડતાં વડાપ્રધાને હાસ્ય અને ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે, “આટલો ભવ્ય વિજય મેળવ્યા બાદ થાક કેવો?” તેમ કહી તેમણે જામનગરના ભાજપાના કાર્યકરોનો ઉત્સાહ વધારી પ્રશંસા કરી હતી.


