જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલા પ્રણામીનગરમાંથી નદીના કાંઠેથી બોથડ પદાર્થના ઘા ઝિંકી હત્યા નિપજાવેલો નેપાળી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે નેપાળી શખ્સ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલા પ્રણામીનગર વિસ્તારના નદીના કાંઠેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર અને લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યાં બનાવ અંગેની જાણ કરાતા પીઆઈ વી.એમ. ડોડિયા તથા સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી યુવાનનો મૃતદેહનો કબ્જે સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મૃતદેહની બાજુમાં જ લોહીના ડાઘાવાળો મોટો પથ્થર અને જીજે-11-બીએફ-6143 નંબરનું એકટીવા મળી આવતા કબ્જે કરી મૃતકની ઓળખ મેળવતા મૃતદેહ નેપાળના અછામ જિલ્લાના સાન્તડા પસેલા ગામના વતની અને જામનગર શહેરના ગ્રીનસીટી શેરી નંબર-9 માં આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા તપેન્દ્ર જંકર સાઉદ (ઉ.વ.28) નામના યુવાનનો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતકના પિતા જંકર સાઉદ કેહરીના નિવેદનના આધારે નેપાળનો વતની અને હાલ કિર્તીપાનવાળી શેરીમાં રહેતાં રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદ નામના શખ્સે કોઇ કારણસર તપેન્દ્રના માથાના ભાગે પથ્થરનો ઘા મારી બંને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાની ફરિયાદના આધારે પોલીસે રાકેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


