યાત્રાધામ દ્વારકાને વિકાસ અને સુવિધાઓની વણઝાર નવા વર્ષ 2024માં શરૂ થઈ છે. ત્યારે આ વિકાસ યાત્રામાં વધુ એક છોગું ઉમેરાયું છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆત બાદ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂપિયા ચાર કરોડ સતર લાખના ખર્ચે મહત્વના માર્ગને સીસી રોડ બનાવવા માટેની મંજૂરી મળી છે.
દ્વારકાની મધ્યમાં આવેલા અને હાર્દ સમાન ઇસ્કોન ગેઇટ ચોકડીથી રણમુક્તેશ્વર મંદિર સુધીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવનાર છે. આ માર્ગ નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાનો મુખ્ય માર્ગ છે. ઉપરાંત શહેરના બિરલા ઉપનગર તથા અંબુજાનગર અને જિલ્લા પંચાયતની બેઠક વરવાળા અને મીઠાપુરના ગામડાઓ પણ આ માર્ગને લાગુ પડે છે. આ રસ્તાનું નિર્માણ થયેથી દરરોજ અનેક વાહન ચાલકોને ભારે રાહત સાથે સાનુકૂળતા બની રહેશે.