સલાયાનું વહાણ MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા જઈ રહ્યું હતું. આ વહાણમાં એક ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી વખતે ઈરાની અને યુએસ નેવી વચ્ચે ક્રોસ ફાયરિંગ શરૂ થયું હતું.
આ ફાયરિંગ દરમિયાન વહાણને ભારે નુકસાન થયું અને તે ડૂબવા લાગ્યું. વહાણમાં સવાર તમામ ખલાસીઓ અને ટંડેલે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં એન્જિન રૂમમાં રહેલા સલાયાના અલ્તાફ તાલબ કેર નામના યુવાનને ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ થયું હતું.
View this post on Instagram
બાકીના 17 ખલાસીઓને નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ ખલાસીઓ 8 મેના રોજ દુબઈ પોર્ટ પર પહોંચ્યા હતા. આ ઘટનાના સમાચાર સલાયા પહોંચતા વહાણવટી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ સંબંધિત તંત્ર અને સરકારને આ બાબતે જાણ કરી છે. તેમણે મૃત્યુ પામેલા યુવાનની અંતિમ વિધિ માટે અને દુબઈ પહોંચેલા ખલાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે માંગણી કરી છે. આ ઉપરાંત, મૃત્યુ પામેલા યુવાનના ડેથ સર્ટિફિકેટ અને અન્ય કાગળો માટે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ અપીલ કરવામાં આવી છે.


