દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતાં યુવાનના એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા બાદ ફરીથી સગાઇ ન થવાથી જિંદગીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અભુભા અરજણભા માણેક (ઉ.વ. 40) નામના યુવાનના અગાઉ થયેલા લગ્ન બાદ આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેમની સગાઈ થતી ન હોવાથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા. આ પરિસ્થિતિમાં તેમને મનમાં લાગી આવતા ગત તા. 2 જુલાઈના રોજ તેમણે પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ કરશનભાઇ દ્વારા જાણ કરતાં મીઠાપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.


