જામનગર શહેરના જોલી બંગલા પાસે આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાંથી મેનેજરે માલિકની જાણ બહાર રૂપિયા 1.85 લાખનો મંડપ સર્વિસને લગતો માલ સમાન ચોરી કરી વેચી માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પરના નાનકપુરી વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા સાગરભાઇ મોહનભાઇ શર્મા (ઉ.વ.32) નામના વેપારી યુવાનનું જોલી બંગલા પાસે આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાંથી તેને ત્યાં જ નોકરી કરતાં મેનેજર મહેશ જીવતભાઇ રાજાણી (રહે. સાધના કોલોની, જામનગર) નામના શખ્સે ગત્ તા. 12 ડિસેમ્બર 2025 થી તા. 28 ફેબ્રુઆરી 2026 સુધીના સમય દરમ્યાન રૂા. 1,85,000ની કિંમતનો મંડપ સર્વિસનો સામાન માલિક સાગરભાઇની જાણ બહાર ચોરી કરી વેચી નાખ્યાનું જણાતા વેપારી યુવાને તેને ત્યાં નોકરી કરતાં મેનેજર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે એએસઆઇ એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


