ગઈકાલે તા. 14ને ગુરુવારે 16માં શાંતિનાથ ભગવાનનો જન્મ કલ્યાણક તથા મોક્ષ કલ્યાણક હતો તથા આજે દીક્ષા કલ્યાણક છે. ત્યારે જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલ મોટા શાંતિનાથ જિનાલયે મુળનાયક શાંતિનાથ ભગવાનના જિનાલયે તથા લાલબંગલા વિસ્તારમાં આવેલા પોપટલાલ ધારશી જૈન વિદ્યાર્થી ભુવન સમેતશિખર તીર્થાંતર જિનાલયે ઉજવણી કરવામાં આવી હતી.
શાંતિનાથ ભગવાનના ગઈકાલે જન્મ કલ્યાણક તથા મોક્ષ કલ્યાણક તેમજ આજે દીક્ષા કલ્યાણક નિમિત્તે શહેરના લાલબંગલા પાસે કંચનજંઘા સામે આવેલા પ્રાચીન પોપટલાલ ધારશી જિનાલયે ભગવાનના જન્મ કલ્યાણક તથા મોક્ષ કલ્યાણક નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે સવારે 6:1પ કલાકે પ્રભાતિયા, 6:30 કલાકે ભકતામર, 7 કલાકે શાંતિનાથ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા ત્યારબાદ 8 કલાકે નવકારશીનો લાભ કોઠારી પ્રાણજીવન પોપટલાલ તથા કોઠારી વાડીલાલ પોપટલાલ પરિવાર તરફથી લાભ લીધો હતો. બાદમાં સવારે 10 કલાકે પંચ કલ્યાણક પૂજા, બપોરે 1ર:30 વાગ્યે સ્વામિ વાત્સલ્ય જમણ હતો. જેમાં સંઘના લોકોએ લાભ લીધો હતો. બપોરે 4 કલાકે જાપ રાખવામાં આવ્યા હતાં. સાંજના શાંતિનાથ ભગવાનને ભવ્ય આંગી કરવામાં આવી હતી. જેમાં સોનાના વરખ તથા સાચા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં જામનગરના તમામ સંઘોએ દર્શનનો લાભ લીધો હતો. રાત્રીના 9 કલાકે સંગીતકાર વિપુલભાઈ જૈને ભક્તિ સંગીત (ભાવના)માં ઉપસ્થિત લોકોને તરબોળ કરી દીધા હતાં. ભાવના બાદ આરતી-મંગલદીવો કરવામાં આવ્યા હતાં. આજે ભગવાનના મોક્ષ કલ્યાણક નિમિત્તે પણ સાંજના ભગવાનને આંગી કરવામાં આવશે.


