જામનગર શહેરના ખોડિયાર કોલોની જૂની આરામ કોલોની વિસ્તારમાં રહેતાં તામીલનાડુના મીકેનીકલ એન્જીનિયર યુવાન અને તેની પત્ની નોકરી ગયા હતાં તે દરમિયાન સવા પાંચ કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડી 24 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં.

ચોરીના બનાવની વિગત મુજબ, તાલીમનાડુના ત્રીચલાફળીના વતની અને હાલ જામનગર શહેરમાં જૂની આરામ કોલોની વિસ્તારમાં કામેશ્ર્વર મહાદેવ મંદિરની સામે આવેલા રઘુવંશ મકાનમાં રહેતાં મરીય મેલવીન (ઉ.વ.38) નામના મીકેનીકલ એન્જીનિયર યુવાન અને તેની પત્ની ગઈકાલે સવારે નોકરી પર ગયા હતાં તે દરમિયાન સવારના 09:30 થી બપોરે 02:45 સુધીના સવા પાંચ કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું અને મકાનના પાછલા દરવાજા નીચેનું લાડકુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાંથી અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે રૂમમાં રહેલી હેન્ડબેગ ચોરી કરી ગયા હતાં. આ હેન્ડબેગમાં સોના-ચાંદીના 24 તોલાના દાગીના તેમજ ડાયમંગની બુટી પેન્ડલ સહિતના કુલ રૂા.6,01,000ની કિંમતના દાગીના ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ બપોરે દંપતી ઘરે પરત ફરતા ચોરી થયાની જાણ થતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ એન બી ડાભી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ડોગ સ્કવોર્ડ તથા એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે આ વિસ્તારમાં રહેલા સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ દબાવવા તપાસ આરંભી હતી.