જામનગર શહેરના વાલ્મિકીવાસમાં રહેતાં વેપારી યુવાને તેના સગાભાઇ ભાભીને પાંચ લાખની કિંમતના સોનાના દાગીના સાચવવા આપ્યા બાદ ભાઇ-ભાભીએ આ દાગીના પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ વિશ્વાસઘાતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના વાલ્મિકીવાસ વિસ્તારમાં આવેલી ગણેશફળીમાં રહેતાં વેપારી અરૂણભાઇ ભીમજીભાઇ વાઘેલા (ઉ.વ. 46) નામના યુવાને તેની દીકરી કીર્તિબેનના લગ્ન માટે વર્ષ 2018માં ત્રણ તોલાનો સોનાનો હાર, ત્રણ તોલાની પાનબુટી, એક તોલાની સોનાની કાનસર, એક સોનાની અડધા તોલાની વિંટી એમ કુલ મળી આઠ તોલાના સોનાના દાગીના આશરે રૂા. પાંચ લાખની કિંમતના બનાવ્યા હતા અને આ સોનાના દાગીના તેના ભાઇ ધનજીભાઇ તથા ભાભી પ્રભાબેનને સાચવી રાખવા માટે આપ્યા હતા. ત્યારબાદ આ સોનાના દાગીના ભાભી પાસે પરત માંગતા ભાભીએ વર્ષ 2024માં આ દાગીના તેની દીકરી વીણાબેનને આપી દઇ દિયર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ અરૂણભાઇ દ્વારા તેના ભાભી પ્રભાબેન ધનજી વાઘેલા વિરૂદ્ધ દાગીના ઓળવી જવાની, વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. એચ. આર. સાગઠિયા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.


