Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયસાંસદોના પેન્શન પર સવાલ

સાંસદોના પેન્શન પર સવાલ

એક તરફ સંસદમાં કામ થતું નથી, બીજી તરફ પૂર્વ સાંસદોને પેન્શન પાછળ કરોડોનો ખર્ચ : મોટાભાગના સાંસદો કરોડપતિ તો ધનિક સાંસદોને પેન્શન શા માટે ? કોંગ્રેસ નેતાએ લખ્યો પત્ર

- Advertisement -

લોકસભા અને રાજયસભાના પૂર્વ સાંસદોને આપવામાં આવતા પેન્શન પાછળ થઇ રહેલાં કરોડોના ખર્ચ સામે કોંગ્રેસ સાંસદે સવાલ ઉભો કર્યો છે અને એટલું જ નહીં જેમને જરૂર નથી એવા ધનિક સાંસદોને પેન્શન બંધ કરવા પણ સૂચન કરતો પત્ર કેન્દ્રિય નાણાંમંત્રીને પાઠવ્યો છે.

- Advertisement -

મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફ બાલુ ધનોરકરે નાણામંત્રી નિર્મલા સીતારામનને એક પત્ર લખીને પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની અપીલ કરી છે. પૂર્વ સાંસદો પાછળ દર વર્ષે કરોડોનો ખર્ચ થાય છે એટલે તેમણે આર્થિક રીતે સંપન્ન સાંસદોનું પેન્શન તાત્કાલિક ધોરણે બંધ કરવાનું પણ સૂચન કર્યું છે.

ધનોરકરે પત્રમાં લખ્યું છે કે, હાલ દેશમાં લોકસભા અને રાજ્યસભાના કુલ 4,796 પૂર્વ સાંસદ છે, જેમના પેન્શન પાછળ દર વર્ષે રૂ. 70 કરોડનો ખર્ચ થાય છે. આ સિવાય પણ 300 પૂર્વ સાંસદ એવા છે, જેમનું નિધન થઈ ગયું છે અને તેમના પરિવારજનોને પેન્શન મળી રહ્યું છે.

- Advertisement -

ધનોરકરે આ પત્રમાં એ પૂર્વ સાંસદોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જે આર્થિક રીતે મજબૂત છે અને છતાં પેન્શન લઈ રહ્યા છે. તેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર ઐયર, રેખા અને ચિરંજીવી સામેલ છે. આવા ધનિક સાંસદોનું પેન્શન બંધ કરવા સૂચન કરતા તેમણે કહ્યું છે કે, આવા પૂર્વ સાંસદો જે આવકવેરાના 30% સ્લેબમાં આવે છે, તેમને પેન્શનનો લાભ નહીં મળવો જોઈએ. મને વિશ્વાસ છે કે, એક પણ દેશભક્ત પૂર્વ સાંસદને આ નિર્ણય સામે વાંધો નહીં હોય. 2019માં લોકસભા ચૂંટણી જીતનારા 539 સાંસદમાંથી 475 કરોડપતિ છે. ભાજપના 301 સાંસદમાંથી 265 સાંસદ કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 51માંથી 43 કરોડપતિ છે. એવી જ રીતે, ડીએમકેના 96% અને તૃણમૂલના 91% સાંસદ કરોડપતિ છે.

એવો કોઈ જ નિયમ નથી કે, સાંસદ કે ધારાસભ્યે પેન્શનનો લાભ લેવા એક ચોક્કસ સમય સુધી હોદ્દા પર રહેવું જોઈએ. તેથી કોઈ એક દિવસ માટે પણ સાંસદ કે ધારાસભ્ય બની જાય તો પણ તેમને આજીવન પેન્શન મળે છે. એટલું જ નહીં, પેન્શન સિવાયની સુવિધાઓ પણ મળે છે. વળી, કોઈ સાંસદ ધારાસભ્ય બની જાય તો તેને સાંસદના પેન્શનની સાથે ધારાસભ્યનો પગાર પણ મળશે. અને ધારાસભ્ય નહીં રહે તો સાંસદ-ધારાસભ્ય બંનેનો પગાર મળશે. આ ઉપરાંત પૂર્વ સાંસદ કોઈ સાથીદાર સાથે કોઈ પણ ટ્રેનમાં સેક્ધડ એસીમાં ફ્રીમાં પ્રવાસ કરી શકે છે. જો તેઓ એકલા પ્રવાસ કરતા હોય તો ફર્સ્ટ એસીમાં પણ કરી શકે છે.

- Advertisement -

લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગાર-પેન્શન માટે 1954થી કાયદો છે, તેમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા છે. લોકસભાનો એક કાર્યકાળ એટલે કે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે માસિક રૂ. 25 હજાર પેન્શન મળે છે. એવી જ રીતે, રાજ્યસભામાં છ વર્ષનો એક કાર્યકાળ પૂરો થાય ત્યારે માસિક રૂ. 27 હજાર પેન્શન મળે છે. આમ, કોઈ બે વાર એટલે કે 12 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે તો દર મહિને રૂ. 39 હજાર પેન્શન મળે છે. એક અહેવાલ પ્રમાણે આરટીઆઈ જવાબમાં સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસે જણાવ્યું હતું કે, પૂર્વ સાંસદોના પેન્શન પાછળ 2021-22માં રૂ. 78 કરોડથી વધુ ખર્ચ થયો હતો, જ્યારે 2020-21માં આ આંકડો રૂ. 99 કરોડથી પણ વધુ હતો.

છેલ્લા પાંચ દિવસમાં સંસદમાં માત્ર બે કલાક કામ થયું, ખર્ચ થયો કરોડોનો

13 માર્ચથી 17 માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી માત્ર 42 મિનિટ જ ચાલી શકી હતી. લોકસભા ટીવીના ડેટા અનુસાર 13 માર્ચે 9 મિનિટ, 14 માર્ચે 4 મિનિટ, 15 માર્ચે 4 મિનિટ, 16 માર્ચે 3.30 મિનિટ અને 17 માર્ચે માત્ર 22 મિનિટે જ કાર્યવાહી ચાલી હતી. આ દરમિયાન ન તો ગૃહમાં કોઈ બિલ પર ચર્ચા થઈ શકી ન તો પ્રશ્ર્નકાળ અને શૂન્યકાળનું કામ થયું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકરને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે સરકારના મંત્રીઓ ગૃહમાં હંગામો મચાવી રહ્યા છે અને મને બોલવા દેતા નથી. છેલ્લા 5 દિવસમાં રાજ્યસભાની કાર્યવાહી 55 મિનિટ સુધી ચાલી હતી. જો કાર્યવાહીને દરરોજના હિસાબે જોવામાં આવે તો સરેરાશ 11 મિનિટ ચાલી હતી. 13 માર્ચે સંસદની કાર્યવાહી મહત્તમ 21 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ગૃહના નેતા પીયૂષ ગોયલ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતપોતાની વાત રાખી હતી. ખડગે નાટુ-નાટુ ગીત માટે ઓસ્કાર એવોર્ડ માટે વડાપ્રધાન મોદીને ટોણો મારતા દેખાયા હતા, પરંતુ જેપીસીની માંગને લઈને ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. પીયૂષ ગોયલે રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી, જેના કારણે વિપક્ષના નેતા વેલમાં આવી ગયા. હોબાળો જોઈ અધ્યક્ષે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular