જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થવા પામેલ છે. જેના કારણે જિલ્લાના 84 જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થયેલ છે ત્યારે આ તમામ ગામોમાં તાત્કાલીક અસરથી વિજ પુરવઠો પુર્વવત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અતિવૃષ્ટિ સંદર્ભે જામનગર ખાતેની મુલાકાત વેળાએ પીજીવીસીએલના અધિકારી ડો.ડી.બી.વ્યાસ મેનેજિંગ ડાયરેક્ટર, જે.જે.ગાંધી મુખ્ય ઈજનેર અને પીજીવીસીએલ તથા જેટકોના અન્ય અધિકારીઓએ સાથે બેઠક કરી યુધ્ધના ધોરણે આ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવા જણાવેલ.
આ બાબતે પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઈજનેર સી.કે.પટેલે જણાવ્યું હતુ કે, જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 84 ગામોમાં ભારે વરસાદને કારણે વિજ પુરવઠો ખોરવાયેલ જેમાના 84 ગામો પૈકી 60 ગામોમાં અત્યાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે અને બાકી રહેલ અન્ય 24 ગામોમાં આજ સાંજ સુધીમાં વિજ પુરવઠો કાર્યરત કરવા અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા યુધ્ધના ધોરણે 46 કોન્ટ્રાકટરોની ટીમો કામે લગાવી અને 488 જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરાયેલ છે.