જામનગર-ખંભાળિયા બાયપાસ માર્ગ પર કેશવારાસ હોટલ સામેના રોડ પરથી પુરપાટ પસાર થઇ રહેલી આઇ-20 કારના ચાલકે કાબૂ ગૂમાવતા કાર રોડ પરના ડીવાઇડર પર ટપી જતાં અકસ્માતમાં એક વ્યકિતનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય સાત વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતો પરિવાર જીવાપર ગામે પ્રસંગે જતા હતા. તે દરમ્યાન જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર કેશવારાસની સામેના રોડ પર ગુરૂવારે રાત્રિના સમયે જીજે-10-સીએન-4511 નંબરની આઇ-20 કારના ચાલકે પુરપાટ ઝડપે બેફિકરાઇથી ચલાવી કાબૂ ગૂમાવતા કાર ડીવાઇડર ટપીને સામેની બાજુથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે મહિલા સહિત સાત લોકોને ઇજા પહોંચી હતી. તેમજ 6 માસના બાળકને ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. તેમજ બનાવની જાણના આધારે પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પ્રભુલાલ મેઘજીભાઇ ચૌહાણના નિવેદનના આધારે આઇ-20 કારના ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.