ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે સૌથી વધુ અઢી લાખ જેટલા કેસ આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવારને લઇને કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે જે કોવિડ પોઝીટીવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેનો ટેસ્ટ કરવાની જરૂર નથી. ઉપરાંત ઓક્સીજન સપોર્ટ વગર ઓક્સીજન લેવલ 93% હોય તો રજા આપી દેવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાંના સાત દિવસ બાદ કોરોનાના હળવા કેસો ધરાવતા લોકો ડિસ્ચાર્જ થઈ શકે છે અને આવા લોકોએ ફરી વાર કોરોના ટેસ્ટ કરાવવાની જરુર નથી. અત્યાર સુધી તો કોરોનામાંથી સાજા થયા બાદ પણ ટેસ્ટ કરાવવાની જરુર હતી પરંતુ હવે ટેસ્ટની જરુર નથી તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે
હોમ આઈસોલેશન પછી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અથવા કોવિડ-19 દરમિયાન હોસ્પિટલમાં સારવાર હેઠળ રજા આપવામાં આવેલા દર્દીઓના ટેસ્ટિંગની જરૂર નથી. જોકે, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો જેવા લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવો જરૂરી છે. તેમજ જેઓ 60 વર્ષના છે અથવા જેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ફેફસા અથવા કિડનીની બીમારી વગેરે જેવા રોગો છે તેમણે પણ ટેસ્ટિંગની જરૂર છે. ICMRએ હોસ્પિટલો માટે એવો નિર્દેશ આપ્યો કે ટેસ્ટિંગની અછત માટે કોઈ પણ ઈમરજન્સી પ્રક્રિયામાં વિલંબ ન કરવો જોઈએ.