દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ સંદર્ભે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પાસા અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના મૂળ વતની અને હાલ રાજકોટના પરા પીપળીયા વિસ્તારમાં રહેતા નવાઝ જુમા દેથા નામના 33 વર્ષના શખ્સ સામે નોંધાયેલા વિવિધ ગુનાઓને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરાયા બાદ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા તકેદારીના ભાગરૂપે ત્વરિત નિર્ણય લઇ અને આરોપી નવાઝ જુમા દેથાના પાસા મંજુર કર્યા હતા.
ત્યાર બાદ એલ.સી.બી.ની ટીમે ઉપરોક્ત આરોપીને રાઉન્ડ અપ કરી અને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.આઈ. એ.એલ. બારસીયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.