છોટીકાશી જામનગમાં તળાવની પાળ બિરાજતાં વિશ્ર્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધુન 61 વર્ષથી ચાલી રહી છે. આ અખંડ રામનામ જાપના પ્રણેતા નામનિષ્ઠ સંત પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિનો ઉત્સવ ધામધુમ સાથે ઉજવાઈ રહ્યો છે.

આજ ચૈત્ર વદ-5એ પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની પૂણ્યતિથિ છે. આ ઉત્સવ અંતર્ગત જામનગર શહેર-જીલ્લો ઉપરાંત દ્વારકા જીલ્લાના ભાવિકો તેમજ પ્રેમ પરિવાર અને રામધુનના કાર્યકર ભાઈ-બહેનો દ્વારા ગત તા. 3 માર્ચથી વિશેષ હરિનામ સંર્કિન ધુનમાં મોડી રાત્રી સુધી ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ વિશેષ ધુનનું આજ તા.18 એપ્રિલના રોજ સમાપન થશે.
આ ધર્મોત્સવમાં જામનગર શહેર-જીલ્લા ઉપરાંત દ્વારકા-ખંભાળીયા-ઓખા, જામરાવલ, કલ્યાણપુર, ભાટીયા, બેટ (શંખોદ્વાર), મીઠાપુર તેમજ પોરબંદર, બોખીરા, સોઢાણા, સોમનાથ (વેરાવળ), જાફરાબાદ, મહુવા, રાજકોટ, અમદાવાદ, ધોળકા, જુનાગઢ, રતનપર, સરપદડ, મોટીપાનેલી, તાલાળા, અમરેલી, ભાવનગર વિગેરે સ્થાનો ઉપરાંત બિહાર અને મુંબઈથી હજારોની સંખ્યામાં ભાવિકો જામનગર આવ્યા છે.
આ ઉત્સવમાં સંચાલન માટે મુખ્ય સંકલન સમિતિ ઉપરાંત જુદી-જુદી વ્યવસ્થા માટે અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં અંદાજે 450 જેટલા ભાઈ-બહેનો સ્વૈચ્છીક સેવા માટે જોડાયા છે. આ કાર્યકર ભાઈ-બહેનોની મીટીંગ ગઈકાલે સાંજે કોમર્સ કોલેજના મેદાન પર મળી હતી. જેમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે સમગ્ર વ્યવસ્થાનો ચિતાર આપી દરેકને જવાબદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
જામનગરના મહેમાન બનેલા બહારગામના ભક્તજનો માટે શહેરની જુદી-જુદી જ્ઞાતિની વાડીઓમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજ પૂ.પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ દિવસે વ્હેલી સવારે પાંચ વાગ્યે પ્રભાત ફેરી બાલા હનુમાન મંદિરથી નીકળી હતી. જેમાં પણ વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. એ પછી મંદિર પાસેના વિશાળ પંડાલમાં ગુરૂપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અને મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને બપોરે સાતરસ્તા પાસે, કોમર્સ કોલેજના મેદાન પર હજારો ભાવિકોએ પ્રસાદ લીધો હતો.
આજે બપોરપછી શ્રી બાલાહનુમાન ખાતેથી વિશાળ સંર્કિતન યાત્રા નગરભ્રમણ કરશે. સાંજે 4:30 કલાકે પ્રારંભ થનારી આ સંર્કિતન યાત્રા હવાઈચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી, રણજીત રોડ, બેડીનાકા, પંચેશ્ર્વર ટાવરથી હવાઈચોકથી તળાવની પાળ પર બાલા હનુમાન મંદિર ખાતે સંપન્ન થશે. આ સંક્તિન યાત્રામાં વિવિધ સ્થાનો પરથી આવેલી ધુન મંડળીઓ પણ જોડાશે.
આ સમગ્ર ધર્મોત્સવના આયોજન માટે બાલા હનુમાન સંર્કિતન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી વિનુભાઈ તન્ના, ખજાનચી રવિન્દ્રભાઈ જોષી તેમજ ટ્રસ્ટીઓ કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ રામભકતો, મંદિરના સેવકો તથા કાર્યકરો રાતત જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે બપોરબાદ બાલા હનુમાન મંદિરેથી નગર સંકિર્તન યાત્રા યોજાઈ હતી. આ તકે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, એ ટી અત્તરવાલા સહિત વ્હોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાલા હનુમાન મંદિરે દર્શન કર્યા હતાં તેમજ શોભાયાત્રામાં પણ જોડાયા હતાં.