
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ સમગ્ર વિશ્ર્વમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી અને આતંકવાદ પ્રત્યે આક્રોશ ઉઠી રહ્યો છે. આ આતંકવાદી હુમલાના બનાવ બાદ કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઇ છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી ઉઠી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રહેલાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી સંદર્ભે તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને રાજ્યમાં રહેતાં પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા દરેડ સહિતના જામનગરના વિસ્તારોમાં લાંબા સમયથી રહેતાં પરપ્રાંતિયોના વેરિફીકેશન અને દસ્તાવેજ ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હુમલાના પગલે સમગ્ર દેશભરમાં એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં જ અમદાવાદ અને સુરતમાંથી 1000 થી વધુ બાંગ્લાદેશીઓ તપાસ દરમિયાન મળી આવ્યા હતાં તેના પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓની તપાસ અને ચેકિંગ કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે.