આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. તેમ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891 એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા. પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. વધુમાં, પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.
ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા વધારા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ લાયન ઽ47: વિઝન ફોર અમૃતકાળમાં જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરીને સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પરિમલભાઈ નથવાણી ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય છે. આ ઉપરાંત તેઓ પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય પણ છે.