જામનગર શહેરમાં દવા બજાર કોલોનીમાં રહેતાં આધેડની પત્ની જતી રહેતાં તે બાબતનું મનમાં લાગી આવતા આધેડે ગુરૂવારની રાત્રિના સમયે અંધાશ્રમ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક નજીક આવેલી દવાબજાર કોલોનીમાં રહેતાં અને મજૂરી કામ કરતા ભરતભાઈ માછુભાઈ કરનોલ નામના મરાઠી આધેડની પત્ની સુજાતાબેન ચાર વર્ષ પહેલાં અન્ય વ્યક્તિ સાથે રહેવા જતી રહી હતી. તે બાબતનું મનમાં લાગી આવતા ભરતભાઈએ ગુરૂવારની રાત્રિના સમયે તેના ઘર નજીક આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટે્રન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર વિશાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.