Friday, March 29, 2024
Homeરાજ્યખોડલધામ પાટોત્સવની ઐતિહાસિક વર્ચ્યુઅલ ઉજવણી

ખોડલધામ પાટોત્સવની ઐતિહાસિક વર્ચ્યુઅલ ઉજવણી

10,008 સ્ક્રીન પર રાષ્ટ્રગાનનો રેકોર્ડ સ્થપાયો : ખોડલધામમાં દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરૂષોની પ્રતિમા મૂકાશે : લાખો લોકોએ વર્ચ્યુઅલ પાટોત્સવમાં ભાગ લીધો

- Advertisement -

ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે ખોડલધામ મંદિરે સવારે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી, ધ્વજારોહણ, મહાઆરતી, નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમને દેશ-વિદેશના ખુણે ખુણેથી બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો અને મા ખોડલની આરતી કરી હતી. ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં વસતાં દરેક સમાજે ખોડલધામને પ્રથમ દિવસથી સાથ સહકાર આપ્યો છે. જેમ કે 2017માં અંદાજે 150 જેટલા સમાજ અને સંસ્થાઓએ મળીને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને મારું સન્માન કર્યું હતું. આ ઉપરાંત મા ખોડલના રથના ઠેર ઠેર દરેક સમાજ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. અને આજની તારીખે પણ ખોડલધામ મંદિરે દરેક સમાજના ભાઈઓ-બહેનો માતાજીના દર્શને કરતાં હોય તેવા દ્રશ્યો દરેક ક્ષણે જોવા મળે છે. ત્યારે હું સમજું છું કે આ દરેક સમાજનું આપણા પર ઋણ છે. આ ઋણ ચુકવવા દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરુષોની પ્રતિમા આ ખોડલધામ સંકુલની અંદર સ્થાપિત કરવાનો ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે સંકલ્પ કર્યો છે.

- Advertisement -

 

પોતાના સમાજ જોગ સંદેશમાં નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે 2017 બાદ અનેક પ્રકલ્પો પૂર્ણ કર્યા છે. જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દીકરા-દીકરીઓ જોડાય, ખોડલધામ સમાધાન પંચ અને ખોડલધામ મેરેજ બ્યૂરો, શિક્ષણ, ખેતીવાડી. ત્યારે હવે 2022 પછી પણ સમાજ શિક્ષણની સાથે સંસ્કાર અને આરોગ્ય ક્ષેત્રે આગળ વધે. સમાજના દીકરા-દીકરીઓ સાહિત્ય-સંગીતકાર, રમત-ગમત, મીડિયા સહિતના તમામ ક્ષેત્રે સરકારી નોકરીઓમાં આગળ આવે. વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરીને આગળ વધીએ. આપણું સંગઠન ખૂબ લાગણી અને મજબૂતાઈથી ઉભું છે.

- Advertisement -

ત્યારે આજના આ યુવા દીકરા-દીકરીઓને કહેવાનું કે, આ સંગઠનને ક્યારેય આંચ ના આવે તેની જવાબદારી આપ સૌની છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ખોડલધામ પરિવાર માટે 21 જાન્યુઆરીનો દિવસ અતિ મહત્વનો અને ઐતિહાસિક છે. ત્યારે આ ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરે 21 જાન્યુઆરીના રોજ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે સવારે 6 થી 9 મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં યજમાન દ્વારા આહૂતિ આપવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે એક સામાન્ય ખેડૂત પરિવારને યજમાન બનાવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લના પડધરી તાલુકાના નાગબાઈના ગઢડા ગામના વતની અને સામાન્ય ખેડૂત પરિવાર એવા હરિભાઈ ટીંબડીયાનો પરિવાર આ મહાયજ્ઞમાં યજમાન બન્યો હતો. વિશેષ વાત એ છે કે, મહાયજ્ઞના યજમાન એવા હરિભાઈ ટીંબડીયાની મા ખોડલ પ્રત્યેની શ્રદ્ધા એવી છે કે 2011માં ખોડલધામ શિલાન્યાસ પ્રસંગે પ્રસાદીમાં આપવામાં આવેલો લાડુ તેઓએ ઘરે સાચવીને રાખ્યો હતો અને આ પ્રસાદીનો લાડુ આજે પણ એવો ને એવો જ છે. આ પ્રસાદીનો લાડુ હરિભાઈ ટીંબડીયા પંચવર્ષીય પાટોત્સવના દિવસે મંદિરે દર્શન માટે લઈને આવ્યા હતા.

મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સવારે 9 કલાકેથી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 કલાકે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. ત્યારબાદ નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. ધ્વજારોહણ બાદ મા ખોડલની સાથે મંદિરમાં બિરાજમાન 21 દેવી-દેવતાઓની મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સમાજ જોગ સંદેશ આપ્યો હતો. અને કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું. આ ઓનલાઈન કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી સર્વ સમાજના બહોળી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી જોડાયા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સહિત દેશ-વિદેશના વિવિધ 10008થી વધુ સ્થળે એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મૂકીને લોકોએ મા ખોડલની આરતી કરીને કાર્યક્રમ નિહાળ્યો હતો. પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે ખોડલધામ મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં આકર્ષક રંગોળી કરવામાં આવી હતી. ખોડલધામ મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવેલી વિશાળ યજ્ઞશાળામાં સવારે અગ્નિ પ્રગટાવાઈ હતી. આ ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાં અનેક ઘરોના આંગણે અને સોસાયટી, સમાજ ભવનોમાં રંગોળી સહિતના સુશોભન કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular